23 વર્ષની ઉંમરે દેશ માટે મરનારને સરકાર આજે પણ ‘શહીદ’ નથી માનતી?
આઝાદીના દાયકાઓ પછી પણ દેશના મહાન ક્રાંતિકારી Bhagat Singh માટે કાયદાકીય સન્માનનો અભાવ—શું કહે છે સરકારની નીતિ?
આજે, શહીદ દિવસ ના પવિત્ર દિવસે, સમગ્ર દેશ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. દેશ માટે હસતાં-હસતાં ફાંસી સ્વીકારનાર આ યુવાન ક્રાંતિકારીઓએ સ્વતંત્ર ભારતનું સ્વપ્ન સાકાર કરવા પોતાનું જીવન અર્પણ કર્યું હતું.
પરંતુ આ શ્રદ્ધાંજલિ સાથે એક કરુણ પ્રશ્ન પણ ઉભો થાય છે—આઝાદીના એટલા વર્ષો પછી પણ શું કારણ છે કે ભગતસિંહને સરકાર દ્વારા સત્તાવાર “શહીદ”નો દરજ્જો આપવામાં આવ્યો નથી?
ભારતને સ્વતંત્રતા મળ્યાને દાયકાઓ વીતી ગયા. આ દરમ્યાન અનેક સરકારો આવી અને ગઈ. દેશે ટેકનોલોજી, અર્થતંત્ર અને કાયદાકીય વ્યવસ્થામાં નોંધપાત્ર પ્રગતિ કરી. ત્યારે શું આટલો સમય પૂરતો નહોતો કે દેશ માટે બલિદાન આપનાર મહાન ક્રાંતિકારીઓ માટે એક સ્પષ્ટ કાયદો બનાવવામાં આવે?
આજે પણ હકીકત એ જ છે કે “શહીદ” માટે કોઈ સ્પષ્ટ કાયદાકીય વ્યાખ્યા નથી. સરકાર “Freedom Fighter” તરીકે ઓળખ આપે છે, પરંતુ “શહીદ”નો સત્તાવાર દરજ્જો આપવા માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી.
ઘણા લોકો માને છે કે “સરકાર ઇચ્છે તો બધું કરી શકે.” ત્યારે આ પ્રશ્ન વધુ તીવ્ર બને છે—જો ઇચ્છા હોત, તો શું આજ સુધી ભગતસિંહ જેવા વિરપુરુષને કાયદાકીય રીતે “શહીદ”નો સન્માન આપવામાં ન આવી શક્યો હોત?
આ પરિસ્થિતિ દેશની અત્યાર સુધી આવેલી તમામ સરકારોની નીતિ અને પ્રાથમિકતાઓ પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. શું આપણા શહીદો માટે કાયદાકીય સન્માન આપવું એટલું મુશ્કેલ છે?
પરંતુ આ સવાલો વચ્ચે એક સત્ય અડગ છે—દેશના દરેક નાગરિકના દિલમાં ભગતસિંહ હંમેશા “શહીદ” જ રહેશે. આ સન્માન કોઈ કાયદા કે સર્ટિફિકેટથી મોટું છે.
શ્રદ્ધાંજલિ:
આ શહીદ દિવસના દિવસે, આપણે તમામ શહીદોને નમન કરીએ અને તેમના બલિદાનને યાદ કરીએ.
“ઇન્કલાબ જિંદાબાદ” ના નારા સાથે, તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.